અમદાવાદ : વાયુ વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે એમ એમ ગુજરાતના શ્વાસ અધ્ધર થઇ રહ્યા છે. વાયુ વાવાઝોડું હવે વેરાવળથી માત્ર 320 કિલોમીટર દૂર છે અને આગામી ગણતરીના કલાકોમાં ગુજરાતને પોતાનું નિશાન બનાવી શકે છે. વાયુ વાવાઝોડું વધુ મજબૂત બન્યુ છે અને ગુરૂવારે વહેલી સવારે પોરબંદર દીવ વચ્ચે ગુજરાતના દરિયા કિનારે ટકરાશે એવી સંભાવના હતી. જોકે બાદમાં સાંજે વાયુની દિશામાં ફેરફાર થતાં હવે એ સવારેને બદલે ગુરૂવારે બપોરે ગુજરાતના દરિયા કિનારે ટકરાય એવી સંભાવના હોવાની સરકારે લેટેસ્ટ માહિતી આપી છે. સાથોસાથ આ વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા પણ અપીલ કરવામાં આવી રહી છે
ગુજરાતીઓના માથે હાલમાં વાયુનો ખતરો મંડરાઇ રહ્યો છે. વાયુ વાવાઝોડું તીવ્ર ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 150થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલ વાયુ વાવાઝોડુ હાલમાં વેરાવળથી માત્ર 320 કિલોમીટર જ દૂર છે અને ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. પહેલા આ વાવાઝોડુ વેરાવળ તરફ આગળ વધતું દેખાતું હતું પરંતુ એની દિશામાં થોડો ફેરફાર થયો હોવાનું સામે આવ્યું છે.
વાયુ વાવાઝોડાની કેવી થશે અસર? જુઓ વીડિયો
વાયુ વાવાઝોડા અંગે લેટેસ્ટ વિગત આપતાં ગુજરાત હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યું કે, વાયુ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો નોંધાયો નથી. એ વધુ મજબૂત દેખાઇ રહ્યું છે. જોકે એની દિશામાં થોડો ફેર થયો છે. ગુરૂવારે વહેલી સવારે ને બદલે બપોરે આ વાવાઝોડું પોરબંદર દિવ વચ્ચેના દરિયા કાંઠે ટકરાશે. એ સમયે આસપાસના વિસ્તારમાં 145થી 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી ભારે પવન ફૂંકાઇ શકે છે.
તિથલ દરિયો ગાંડોતૂર બન્યો. પાણીનો પ્રવાહ ચોપાટી પાસે પહોંચ્યો. 5 થી 6 ફૂટ જેટલા પાણીનો વહેણ ઉછળી રહ્યો છે. ઉનાના વિદ્યાનગર પ્રથમ વરસાદમાં જ મકાન ધ્વસ્ત થયું. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. મોરબી જિલ્લાના 9 ગામમાંથી 1250થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ. બોડકી, વર્ષામેડી, જુમાવાડી, મહિકા, કેરાળા અને ટીકીર સહિતના ગામમાંથી લોકોને સરકારી શાળાઓ સહિતની જગ્યાઓએ રાખવામાં આવ્યા.
હવામાન વિભાગના વડા શું કહે છે?
વેરાવળના દરિયા કાંઠે આવેલ જાલેશ્વર વિસ્તારમાં તંત્ર જગ્યા ખાલી કરાવવા પહોંચ્યું, પરંતુ સ્થાનિકોએ જગ્યા ખાલી કરવાની ના પાડી. પોતાના ઘર તેમજ પોતાની બોટો અહીં હોવાથી તેમણે સ્થળાંતરની ના પાડી. વાવાઝોડાને પગલે વેરાવળ નગર પાલિકાના સ્પીકર વાહનો નીચાણવાળા વિસ્તારોમાં લોકોને જગ્યા ખાલી કરવા સૂચના આપવા નીકળ્યા. તાપીના વાલોડ તાલુકામાં ગજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો.
બુહારીના જમાણિયામા ભારે પવન ફૂંકાતા હવામાં ઉડતા નળિયા અને પતરા નજરે પડ્યા. વાવાઝોડા સાથે વરસાદ વરસી પડતા લોકો પણ ભયભીત બન્યા. સમગ્ર તાપી જિલ્લા મા અન્ય તાલુકાઓમાં વાવાઝોડાથી નુકશાન થયું છે. તો કેટલાક જગ્યાઓએ વૃક્ષો પણ ધારાશાહી થયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે