અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 7 માર્ચથી લેવામાં આવનારી ધો.10 અને ધો.12ની પરીક્ષામાં આ વખતે રેકોર્ડબ્રેક 18.50 લાખ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા. આમ, ગતવર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીની સંખ્યામાં 1.36 લાખનો જંગી વધારો થયો છે. આ વખતે ધો.10, ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સ એમ ત્રણેયમાં વિદ્યાર્થીની સંખ્યા વધી છે. ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં તો વિદ્યાર્થીની સંખ્યામાં 50 હજાર કરતા વધુનો વધારો થયો છે.
રાજ્યભરમાંથી ધોરણ 10ની 11,59,762 વિદ્યાર્થીઓ નોંધાયા છે, ગતવર્ષે બોર્ડની ધો.10ની પરીક્ષામાં 1103674 વિદ્યાર્થી નોંધાયા હતા. આમ, ગતવર્ષ કરતા ધો.10ના વિદ્યાર્થીની સંખ્યામાં 56,088નો વધારો થયો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,47,302 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેની સામે ગત વર્ષે 134671 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5,33,626 વિદ્યાર્થીઓની સામે ગતવર્ષે 476634 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
આ ઉપરાંત ચાલુ વર્ષે ધો.12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમના રિપીટર વિદ્યાર્થીની સંખ્યા 10,302 છે. ધોરણ 10ની અમદાવાદ શહેરમાંથી 69,906 અને અમદાવાદ ગ્રામ્યમાંથી 53,581 વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અમદાવાદ શહેરમાં 10,341 અને અમદાવાદ ગ્રામ્યમાં 7,420 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અમદાવાદ શહેરમાં 36,488 અને અમદાવાદ ગ્રામ્યમાં 24,372 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અમદાવાદ શહેરમાં SSCના 7 અને HSCના 5 એમ કુલ 12 ઝોન કાર્યરત રહેશે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં SSC અને HSCમાં 4-4 એમ કુલ 8 ઝોન રહેશે. ગેરરીતિ અટકાવવા તમામ વર્ગખંડો CCTVથી સજ્જ રહેશે. અમદાવાદ ગ્રામ્યમાં SSC માટે 1 અને HSC માટે 4 પરીક્ષા કેન્દ્ર સંવેદનશીલ જાહેર કરાયા છે. શાળાઓની આસપાસની ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશ કરાયો છે. ત્યારે ઝોનલ રૂમને પણ CCTVની નજર હેઠળ રાખવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રો પાસેથી CCTVની સીડીઓ પણ મંગાવાવમાં આવ્યું. ગાંધીનગર કક્ષાએથી રાજ્યભરમાં સ્ક્વોડની ટીમ કોઈ ગેરરીતીનાં થાય તેને લઈને કામગીરી કરશે.
ધો.10માં ગુજરાત બોર્ડ દ્વારા NCERT આધારિત અભ્યાસક્રમનો પાયલોટ પ્રોજેક્ટ દાખલ કરી તેના આધારે પરીક્ષા લેવા માટેની વ્યવસ્થા કરી હતી. જેમાં ચાલુ વર્ષે ૧૨,૬૯૪ વિદ્યાર્થી NCERT અભ્યાસક્રમ આધારિત ધો.૧૦ની પરીક્ષા આપશે. જેમાં ૧૨,૨૬૩ રેગ્યુલર વિદ્યાર્થી અને ૪૩૧ રિપિટર વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. NCERT અભ્યાસક્રમ આધારીત પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થી સુરત જિલ્લાના ૫૬૪૦ નોંધાયા છે.
અમદાવાદ શહેરના ૧૭૬૦ અને ગ્રામ્યના ૧૮૩૨ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને તકલીફનાં પડે તે માટે પુરતી વ્યવસ્થાના ભાગરૂપે તમામ પરીક્ષા કેન્દ્ર પર વિજપુરવઠો જળવાય અને વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા સેન્ટર સુધી પહોંચવા બસ મળી રહે તે માટેની જરૂરી વ્યવસ્થા માટે સંલગ્ન વિભાગોને પણ સુચના આપી દેવામાં આવી છે. ત્યારે તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઈન નંબર પણ શરુ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે