Loksabha Election 2024: ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠક માટે ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા. ભાજપના આ ચારેય ઉમેદવારોએ વિજય મુર્હૂતમાં ફોર્મ ફરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો નોમિનેશન સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત ગુજરાતના સરકારના અનેક મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ચારેય ઉમેદવારોએ વિજયમુર્હૂતમાં ફોર્મ ભર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ મયંક નાયક, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા અને ડૉક્ટર જશવંતસિંહ પરમારે ફોર્મ ભર્યું. જ્યારે ફોર્મ ભરવામાં આવ્યા ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યસભાની ચૂંટણી
ગુજરાતમાંથી ફરી એકવાર મોટા રાષ્ટ્રીય નેતા સાંસદ બનવા જઈ રહ્યા છે. અગાઉ ઘણા મોટા નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. જેની વાત કરીએ તો દેશના વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતમાંથી સાંસદ છે. તો આ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ ગુજરાતમાંથી સાંસદ હતા. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતમાંથી સાંસદ બનશે. જેના કારણે રાષ્ટ્રીય લેવલે ગુજરાતનું પ્રભુત્વ વધશે. નડ્ડા આજે સવારે ગુજરાત આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ તેમનું મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠનના નેતાઓએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર યોજાયેલી સભામાં નડ્ડાએ ગુજરાતમાંથી ઉમેદવારી કરવી તે ગર્વની વાત ગણાવી હતી. સાથે જ લોકસભા ચૂંટણીમાં NDA 400 પ્લસ બેઠકો જીતશે, સાથે જ ગુજરાત ફરી 26માંથી 26 બેઠક જીતી હેટ્રિક મારશે તેવો દાવો કર્યો હતો.
ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને મૂળ મહેસાણાના વતની મયંક નાયકે ઉમેદવારી ફોર્મ ભર્યા વાત ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત ભાજપ હાઈકમાન્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. તો મધ્ય ગુજરાતમાં પણ ભાજપે શિક્ષિત OBC ચહેરાને રાજ્યસભામાં મોકલાવનો નિર્ણય કર્યો છે. વ્યવસાયે તબીબ એવા ડૉક્ટર જશવંતસિંહ પરમાર ગોધરા ઉપરાંત પંચમહાલ જિલ્લામાં સારુ વર્ચસ્વ ધરાવે છે. તેમનો પરિવાર વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છે. ઉમેદવારી ફોર્મ બાદ તેમણે પણ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો આભાર માન્યો હતો. તો મૂળ સૌરાષ્ટ્રના અને વ્યવસાય માટે સુરતમાં વસેલા જાણિતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જીતના વિશ્વાસની સાથે લોકસેવાના કામો કરવાનો દાવો કર્યો હતો.
શું છે સમીકરણો?
આપને જણાવી દઈએ કે, રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી 24 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. જો સમિકરણોની વાત કરીએ તો 4 બેઠક જીતવા માટે 144 ધારાસભ્યની જરૂર પડે. ભાજપ પાસે 156 બેઠક છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 178 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે. તેથી ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ જાય તો નવાઈ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે