અમદાવાદ :ગઈકાલે અમદાવાદમાં હિંસક તોફાનો (Ahmedbad shahalam riots) બાદ હવે વડોદરામાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. અમદાવાદ, બનાસકાંઠા બાદ વડોદરામાં પણ CAAનો વિરોધ સામે આવ્યો છે. વડોદરાના હાથીખાના વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા પોલીસની ટીમ પર પત્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે હાથીખાના માર્કેટમાં આવેલી દુકાનો વેપારીઓએ ટપોટપ બંધ કરી હતી. તો પોલીસને 10 જેટલા ટિયરગેસ છોડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે હાલ હાથીખાના, ફતેપુરા વિસ્તારમાં અજંપાભર્યો માહોલ છે.
હાથીખાના અને નાગરવાડામાં છમકલા
હાથીખાનામાં પોલીસની ગાડી પર થયેલા પત્થરમારાના થોડા સમય બાદ નાગરવાડા વિસ્તારમાં હિંસક બનાવ બન્યો હતો. નાગરવાડા વિસ્તારમાંથી પસાર થતી સિટી બસ પર તોફાની તત્વો દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ બનાવને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. બસ પર થયેલા હુમલાને પગલે 25 બસોના રુટ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ ચાર દરવાજા વિસ્તારમાં હાલ બસો ન દોડાવવાની પણ જાહેરાત કરાઈ છે. જેનેને પગલે અનેક મુસાફરો અટવાશે.
કલેક્ટર કચેરી પાસેથી 3ની અટકાયત
નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવા વડોદરાની કલેક્ટર કચેરી પહોંચેલા 3 શખ્સોની અટકાયત કરાઈ છે. કલેક્ટર કચેરી ખાતે દેખાવ કરે એ પહેલા જ આ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કલેક્ટર કચેરી બહારના રોડ પરથી પોલીસે તમામની અટકાયત કરી છે. આ ઘટનાને પગલે કલેકટર કચેરી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસે કલેક્ટર કચેરીના બંને ગેટ બંધ કર્યા છે. તેમજ કોઈ પણ અજાણી વ્યક્તિને અંદર એન્ટ્રી આપવામાં આવી નથી રહી.
પોલીસ કમિશનરે શાંતિ જાળવવાની અપીલ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે અમદાવાદમાં જે રીતે ઘટના ઘટી હતી, તેવી જ ઘટના વડોદરામાં બની છે. ત્યારે અમદાવાદની જેમ તોફાનો વધુ હિંસક અને ઉગ્ર ન બને તે માટે પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગલીએ ગલીએ લોકો બહાર નીકળી આવ્યા હતા. આવામાં પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વડોદરા પોલીસ કમિશનરે લોકો્ને અપીલ કરી હતી કે, શાંતિ જાળવી રાખો. આ ઘટનામાં જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપીની ગાડીના કાચ તૂટ્યા છે. તેમજ એક કર્મચારી ઘાયલ થયા છે અને તોફાનને શાંત કરવા માટે 8 ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા પત્થરમારો કરનારાઓને શોધવામાં આવી રહ્યાં છે.
અમદાવાદમાં કાશ્મીર જેવી સ્થિતિ બાદ સોશિયલ મીડિયામાં Ahmedabad Police બની ‘હીરો’
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં બીજા દિવસે પણ સવારથી જ અનેક વિસ્તારોમા પોલીસનો બંદોબસ્ત યથાવત છે. ચાર દરવાજા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયેલો છે. હથિયારધારી જવાનો સતત ફૂટ માર્ચ કરી રહ્યાં છે. માંડવીથી પાણીગેટ, માંડવીથી લહેરીપુરા દરવાજા સુધી આ ફૂટ માર્ચ થઈ રહી છે. અમદાવાદની જેમ RAF ની ટુકડી પણ વડોદરામાં પેટ્રોલિંગમાં જોડાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા વડોદરા પોલીસ કમિશનર કચેરીની દિવાલ નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ લખાણો લખવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સો દ્વારા શહેરના અલગ અલગ જગ્યાની દિવાલો પર વિરોધ દર્શાવતા લખાણો લખવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે