બ્રિજેશ દોશી/અમદાવાદ: ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીના મારપીટ કાંડને ભાજપે ગંભીરતાથી લીધો છે. મીડિયા સમક્ષ સમાધાન કર્યા બાદ પણ પ્રદેશ ભાજપે ધારાસભ્ય બલરામ થવાણીને 3 દિવસની શો કોઝ નોટીસ ફટકારી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતે ધારાસભ્ય સાથે કરેલી વાતચીતને હવાલો આપીને શો-કોઝ નોટીસ ફટકારી છે.
નોટીસમાં ધારાસભ્યના અશોભનીય વર્તન બદલ ખુલાસો માંગવામાં આવ્યો છે. ધારાસભ્યએ પ્રદેશ પ્રમુખને 3 દિવસમાં આ ઘટના બાબતે ખુલાસો મોકલવાનો રહેશે અને ખુલાસા બાદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી નિર્ણય લેશે. ધારાસભ્ય સામે શિસ્તભંગના પગલાં ભરવા કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે.
પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ દાવો કર્યો હતો કે ભાજપે ધારાસભ્યને તાત્કાલિક માફી માંગવા કીધું હતું અને આ મામલે કોઇપણ પ્રકારની બેદરકારી ચલાવવામાં આવશે નહિ. આ ઘટના શરમજનક અને વખોડવા લાયક છે ત્યારે કાયદો કાયદાનું કામ કરશે અને ખુલાસા બાદ પક્ષ નિર્ણય લેશે.
બલરામ થવાણીએ માફી માંગી
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પીડિત મહિલાની માફી માંગી છે. તો બલરામ થવાણીએ કહ્યું કે, હું મારી ભૂલ સ્વીકારું છું. મેં આ જાણીજોઈને નથી કર્યું. હું છેલ્લા 22 વર્ષોથી રાજનીતિમાં છું, પણ આવું ક્યારેય નથી થયું. હું એનસીપી મહિલા નેતાને સોરી કહીશ. મારાથી જોશમાં મિસ્ટેક થઈ છે. તેનુ મને દુખુ છે, ખેદ છે. જે બહેનને લાત લાગી છે તેમને સોરી કહીશ. ભૂલ થઈ છે, તો હું સ્વીકાર કરીશ.
ઉલ્લેખનીય છે કે, મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો છે. રાજ્યના મહિલા આયોગનો મહિલાને માર મામલે હસ્તક્ષેપ કરી છે. મહિલા આયોગે સુઓમોટો ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદ પોલીસ કમિશનર પાસે અહેવાલ માંગીને જરૂર લાગશે તો પીડિત મહિલાને બોલાવવાની તૈયારી બતાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે