Home> Gujarat
Advertisement
Prev
Next

પતિના મોતથી તૂટ્યો દુખનો પહાડ, છતાં પત્નીએ લીધો અંગદાનનો નિર્ણય, કહ્યું- બીજાના જીવનમાં ઉજાસ પથરાશે

હવે અંગદાન અંગે લોકોમાં સતત જાગૃતિ જોવા મળી રહી છે. પરિવારજનોના મૃત્યુબાદ પણ લોકો તેના અંગદાનનો નિર્ણય લઈ બીજા લોકોને નવું જીવન આપતા હોય છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન થયું છે. 

પતિના મોતથી તૂટ્યો દુખનો પહાડ, છતાં પત્નીએ લીધો અંગદાનનો નિર્ણય, કહ્યું- બીજાના જીવનમાં  ઉજાસ પથરાશે
Updated: May 08, 2023, 09:16 PM IST

અમદાવાદઃ પતિના બ્રેઇનડેડ થયાની જાણ થતાં તેઓ મૃત્યુ બાદ પણ અન્ય જીવમાં જીવંત રહી શકે. મારા પરિવારનો દીપક ઓલવાઇ રહ્યો છે, પરંતુ અન્ય કોઇ જરૂરિયાતમંદના જીવનમાં ઉજાસ પથરાય...  કોઇક પીડિતને અંગોના ખોડખાપણ કે તકલીફની પીડાથી મુક્તિ મળે. તેમનું જીવન ફરીથી પ્રફુલ્લિત બની રહે... આ તમામ બાબતો વિચારીને જ મેં મારા બ્રેઇનડેડ પતિનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે.... આ શબ્દો છે બ્રેઇનડેડ રસિકભાઇનાં પત્ની કોકિલાબહેન પરમારના.

રસિકભાઇ પરમાર મૂળ ખેડા જિલ્લાના મહેમદાબાદના વતની. ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રસિકભાઇ 4થી મે ના રોજ ઘરે પરત થઇ રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં તેઓને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી. 

ઇજા અત્યંત ગંભીર હોવાના પરિણામે તેઓને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા. અહીં તબીબો દ્વારા પ્રાથમિક નિદાન કરતા હાલત અતિગંભીર જણાઇ જેથી તબીબોએ રસિકભાઇને આઇ.સી.યુ.માં સધન સારવાર અર્થે ખસેડવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચોઃ 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર, વિધાનસભાના ઉપાધ્યક્ષે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

 સિવિલ હોસ્પિટલના તબીબોએ રસિકભાઇને બચાવવાના તમામ પ્રયાસો કર્યા. પરંતુ અંતે પ્રભુને ગમ્યું તે જ થયું. તમામ પ્રયત્નો બાદ તેઓને 8મી મે ના રોજ તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાયા.

બ્રેઇનડેડ જાહેર થતાં સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય પ્રવૃત્તિઓ માટે કાર્યરત SOTTO(State Organ Tissue And Tranplant Organisation)ના કાઉન્સેલર્સ દ્વારા રસિકભાઇનાં પત્નીને અંગદાન માટે પરામર્શન કરવામાં આવ્યું.

પતિના બ્રેઇનડેડ થયાની જાણ થતા જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ કોકિલાબહેનની હતી. આ દુ:ખની ઘડીમાં પણ પરોપકારની ભાવના સેવીને તેઓને અન્યોના હિતાર્થે અંગદાનનો જનહિતકારી નિર્ણય કર્યો.

આર્થિક રીતે ગરીબ પરંતુ હૃદયથી પરોપકારની ભાવના બાબતે માલેતુજાર કહી શકાય એવા આ પરમાર પરિવારમાં અગાઉ પણ રસિકભાઇના ભત્રીજાનું અંગદાન કરવામાં આવ્યું હતું. તેથી કોકિલાબહેનને અંગદાનની અગત્યતાની પણ જાણ હતી. 

આ પણ વાંચોઃ ગુજરાત સરકારના VIને રામરામ : સરકારી કર્મચારીઓ હવે JIO ના સહારે

કોકિલાબહેન પરમારના આ નિર્ણયથી બ્રેઇનડેડ રસિકભાઇની બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. જેને સિવિલ મેડિસિટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. 

સિવિલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ 108મા અંગદાનની પ્રતિક્રિયામાં જણાવ્યું કે, સમાજમાં વધી રહેલી અંગદાનની જાગૃતિના પરિણામે જ આજે બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન મેળવીને અન્યોને નવજીવન આપવામાં સરળતા થઇ છે. જેના પરિણામે જ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં પ્રતિદિન એક અંગદાન મેળવવામાં સફળતા મળી છે. જેનાથી પ્રત્યેક દિન ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે