જપ્તવ્ય યાજ્ઞિક/આણંદ :સુરતથી ભાવનગર જતા અજમેરી પરિવારના 9 સભ્યોને આણંદ પાસે કાળ બનીને આવેલ ટ્રક ભરખી ગયો છે. એક જ પરિવારના 9 લોકોના મોતથી સનસનાટી મચી ગઈ છે. તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેક્ટર સાથે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી સૂચનાઓ આપી છે. આ માર્ગ અકસ્માતનો ભોગ બની જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને યોગ્ય સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
આ પણ વાંચો : આણંદ પાસે ટ્રક અને કાર ભટકાતા એક જ પરિવારના 10 લોકોના કરુણ મોત
સુરતમાં ગાદલા તાકિયાનો વ્યવસાય કરતો અજમેરી પરિવાર સુરતથી ભાવનગર જતો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સિરાજ અજમેરીના પરિવારના કુલ 9 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં બે બાળકોના પણ મોત નિપજ્યાં છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, સ્થાનિકોને ઓજારોની મદદથી ઈકો ગાડીને તોડીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. મૃતદેહોનો ઢગલો થઈ ગયો હતો.
આ પણ વાંચો : આણંદમાં અકસ્માત બાદનો ભયાવહ નજારો : ટ્રકની ટક્કરે ઈકો કાર અડધી થઈ ગઈ, એક બાજુ લાશોનો ઢગલો થયો
મૃતકોના નામ
આ અકસ્માત વિશે ડીવાયએસપી ભારતી પંડ્યાએ જણાવ્યું કે, આ પરિવાર સુરતનો સિરાજ પિંજારાનો પરિવાર હતો. જેમાં મૃતકોમાં બે મહિલા અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે. હજી પણ અન્ય મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. તેમના પરિવારજનો આવશે તેના બાદ વધુ માહિતી મળશે. ટ્રક એમપી પાસિંગની છે, ટ્રકના માલિક સાથે સંપર્ક થઈ ગયો છે. ડ્રાઈવરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અકસ્માતને પગલે આણંદ એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમામ મૃતકોને તારાપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે