અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી અનેકવાર પોલીસ દ્વારા ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને બાતમીને આધારે ઝડપી લેવાતા હોય છે ત્યારે અમદાવાદ SOGની ટીમ દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવી જુદા જુદા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં 47 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ઝડપાયેલા આ તમામ 47 બાંગ્લાદેશીઓની તપાસ કરાયા બાદ ડિપોટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદે રીતે બાંગલાદેશીઓ વસવાટ કરતા હોવાની બાતમી મળતા SOGએ ગુપ્તરાહે તપાસ હાથ ધરી જેના માટે અલગ અલગ 5 જેટલી PSIની ટીમ બનાવવામાં આવી હતી. તપાસને અંતે શાહ આલમ, કુબેરનગર, નરોડા, ગોતા જુના હાઉસિંગ, ચંડોળા તળાવ જેવા વિસ્તારોમાંથી 47 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતા એસઓજીના ડીસીપી ડો.હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા તમામ 47 બાંગ્લાદેશીઓ રોજગારીની શોધમાં અમદાવાદ આવ્યા હતા. જેઓ હાલ છૂટક મંજૂરી, શાકની લારી, કડિયાકામ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આ તમામની ઉંમર 25 થી 35 વર્ષની છે.
તપાસમાં સામે આવ્યું છે કે, બાંગ્લાદેશમાં બેરોજગારીનું પ્રમાણ વધતા રોજગારી મેળવવાના આશયથી ઝડપાયેલા તમામ 47 લોકો ભારતની પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલી બોર્ડરમાંથી ઘુસ્યા હતા. જેમાંથી કેટલાક અગાઉ ભારતની બોર્ડરમાં પ્રવેશી ચુક્યા છે. તેઓને અગાઉ પણ ઝડપ્યા બાદ ડિપોટ કરાયા હતા તે બીજીવાર ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરીને અમદાવાદમાં આવ્યા છે.
આ તમામની વચ્ચે ઝડપાયેલામાંથી કોઈ અસામાજિક કે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું નથી તેની પણ તપાસ ચાલુ છે. સાથે જ આ તમામમાંથી કોઈ વ્યક્તિ ભારતના એજન્ટ સાથે સંપર્કમાં છે કે નહીં તેની પણ તપાસ કરાશે. પરંતુ હાલ તો બાંગ્લાદેશથી એજન્ટ મારફતે રસ્તો નક્કી કરીને આ તમામ ભારતમાં ઘુસ્યા છે તે બહાર આવ્યું છે. બાંગ્લાદેશના એજન્ટ 6000થી 7000 જેટલા રૂપિયા લઈ બાંગ્લાદેશીઓને બોર્ડર પાર કરાવતા હોવાની કબૂલાત પણ કરાઈ છે.
પ્રાથમિક તપાસ મુજબ બાંગ્લાદેશીઓ રોજગારી માટે આવેલા હોવાનું ખુલતા પોલીસ માટે રાહતના સમાચાર કહી શકાય કેમ કે, આ તમામ પાસેથી ભારતના કોઈ આધાર પુરાવા નથી મળી આવ્યા એવામાં મોટાભાગના લોકો ચંડોળા તળાવ પાસે ઝુંપડી બનાવીને વસવાટ કરી રહ્યા હતા. હાલ તો તમામને નજરકેદ કરવા માટે રિપોર્ટ વડી કચેરીએ મોકલવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળની જરૂરી કાર્યવાહી કરીને તમામ 47 લોકોને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે