તેજસ મોદી/સુરત: આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે ગાંધી જયંતિએ નવસારીના દાંડી ખાતે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે જે રીતે ગાંધીજીએ દાંડી ખાતેથી મીઠાનો સત્યાગ્રહ શરૂ કરીને અંગ્રેજ સરકારને હરાવ્યા હતા. એવી જ રીતે અત્યારના ગોરા નહીં પણ કાળા અંગ્રેજોને પણ હરાવવા માટેનો સંકલ્પ કર્યો છે.
તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દાંડીની ગાંધીની પવિત્ર ભૂમિ પરમાટી ઉઠાવી સંકલ્પ કર્યો છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાળા અંગ્રેજોને હરાવીશું. વધુમાં તેમને ઇન્ટેલીજન્ટ બ્યુરોએ સરકારને આપેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં નજીવા માર્જિન સાથે સત્તા આરૂઢ થશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો માહોલ દેખાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી રહી છે, જેનું પરિણામ આગામી વિધાનસભાને ચૂંટણીમાં દેખાઈ શકે છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે આમાંથી પાર્ટીનો દબદબો વધતા ભાજપે હવે કોંગ્રેસને જીતાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. જો કોંગ્રેસને વોટ મળે તો આમ આદમી પાર્ટી હારી જાય તે પ્રકારની રણનીતિ બનાવવામાં આવી રહી છે. આમ ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન આ વખતે ગુજરાતમાં છે અને અમે એ બંને પાર્ટીઓની સામે ઊભા છીએ.
ગુજરતાના ગૃહ રાજ્યમંત્રી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પંજાબની જેલો માંથી ડ્રગનું નેટવર્ક ચાલે છે જે ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું છે. વારંવાર પંજાબ સરકારને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, અમે ઇનપુટ્સ આપી રહ્યા છે અને ડ્રગ્સ ઝડપાઈ રહ્યો છે. જોકે રાઘવ ચડાએ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સના રેકેટ અંગે કોઈપણ ખુલાસો કર્યો ન હતો.
આ સાથે જ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં દારૂબંધી કરવાને બદલે દિલ્હીની જેમ વેચાણ કરવા માટેની છૂટ આપવામાં આવવી જોઈએ કે નહીં એ બાબતે પૂછતા તેમણે કહ્યું કે, બંને રાજ્યોની લાક્ષણિકતા અલગ અલગ છે. અમે ગુજરાતમાં ચુસ્ત દારૂબંધી કરાવીશું અને જે ગેરકાયદે દારૂનો વેપાર થઈ રહ્યો છે તેના પર લગામ લગાવીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે