અમદાવાદ: ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં આવેલા અચનાક પલટાથી રાજ્યમાં આજે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ હતી. રાજ્યના 11 જિલ્લાના 38 તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ તુટી પડ્યો હતો. આ માત્ર વરસાદ નહોતો પરંતુ આકાશમાંથી ઉતરી આવેલી આફત જ હતી. અત્યાર સુધી આ તોફાની વરસાદ અને વાવાઝોડાથી કુલ 7 લોકોના મોત અને 20 ઘાયલ થયા છે, જ્યારે ખેતરો અને યાર્ડમાં ખુલ્લામાં પડી રહેલા ઘઉં સહિતના અનેક પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, ખેડૂતની હાલત કફોડી થઈ ગઈ છે.
ગુજરાતથી લઈને દિલ્હી સુધી અને પાકિસ્તાનના અનેક પ્રદેશોમાં પણ આની અસર દેખાઈ રહી છે. જે ગતિથી પવનની ગતિ જોવા મળી હતી. અપર એર સાઈક્લોનિક ડિસ્ટર્બન્સને સર્જાયેલી સિસ્ટમને કારણે ભારત દેશના પશ્ચિમ વિસ્તારમાં ભારે તોફાની પવન ફૂંકાયો હતો. પવનની સાથે જ કરા અને ગાજવીજ સાથે વરસાદ તુટી પડ્યો હતો.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તોફાની પવન અને વરસાદના કારણે કેરીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. અત્યારે મોટાભાગના ઝાડ પર કેરી તૈયાર થઈ ગઈ હતી. તોફાની પવનનાક કારણે કેરી ઝાડ પરથી પડી જવાને કારણે મોટું નુકસાન થયું છે.
પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવતા રાઘનપુર એપીએમસીમાં વેપારીઓના માલને વ્યાપક નુકસાન થયું હતું. માર્કેટયાર્ડમાં પડેલ ઘઉં, એરંડા , ઇસબગુલ તેમજ સવાના પાકમાં ભારે નુકસાન થયું હતું. કમોસમી વરસાદને પગલે રાઘનપુર માર્કેર્ટયાર્ડમાં પડેલ વહેપારીઓના અનાજની બોરીઓ પલડી ગઇ હતી. સાથે જ રાજ્યના મોટા ભાગના માર્કેટ યાર્ડમાં પણ અનાજની બોરીઓને વરસાદના કારણે ભારે નુકશાન થયું હતું.
વરસાદને કારણે બનાસકાંઠામાં વીજળી પડતા બે લોકોના મોત થયા હતા. ધાનેરાના આશિયા ગામમાં વિજળી પડતા એક કમલેશ રબારી નામના યુવકનું મોત થયું હતું. તો સુઇગામમાં ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા એક આધેડનું મોત થતા બનાંસકાઠા જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઇ હતી. વિજાપુર તાલુકાના માલોસણ ગામમાં વરસાદી માહોલમાં વીજળી પડી પડતા એકનું મોત થયું હતું. માલોસણ ગામમાં વીજળી પડતા ઠાકોર કોદરજી પ્રધાનજીનું મોત થયું હતું.
હવામાનમાં પલટો આવવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. મહુવા, દ્વારકા, પોરબંદર સહિતના રાજ્યના માછીમારો કે જે સમુદ્રમાં ગયા હતા તેમને પણ પાછા બોલાવી લેવાયા છે. હાલ, માછીમારોને કોઈ નુકસાન થયું હોવાના સમાચાર નથી.
હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઘણા વર્ષો બાદ એપ્રિલ મહિનામાં આવું વાતાવરણ જોવા મળ્યું છે. 17 સુધી આ વાતાવરણ યથાવત રહેશે. દરિયા કિનારામાં પવન ફૂકાઈ શકે છે, પણ ભૂભાગમાં પણ આ અસર જોવા મળી શકે છે. આ વરસાદમાં જ આંધી-વંટોળ વધુ આવી શકે છે. પવનની ગતિ વધી છે. પવનની ગતિ જે તરફ છે, ત્યાં વરસાદ વધુ રહેશે. પવનની દિશામાં જે વિસ્તારો આવશે ત્યાં વરસાદ પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે