Home> Entertainment
Advertisement
Prev
Next

Madhubala Death Anniversary: મધુબાલાને જોઈને એવા તે મોહિત થઈ ગયા કે માંસાહારી ભોજન સુદ્ધા આરોગી ગયા...

મધુબાલા બોલીવુડની દુનિયાનો હસીન ચહેરો હતા. પડદા પર તેમની સુંદરતા દરેકને આકર્ષતી હતી. બીજી બાજુ અંગત જીવનમાં તેઓ સાથી કલાકાર દિલીપકુમારને ખુબ જ પ્રેમ કરતા હતા. બંનેના પ્રેમની ચારેબાજુ ચર્ચાઓ પણ થતી હતી.  એવા પણ અનેક કિસ્સા છે જ્યારે લોકો મધુબાલાને જોઈને મોહી જતા હતા.

Madhubala Death Anniversary: મધુબાલાને જોઈને એવા તે મોહિત થઈ ગયા કે માંસાહારી ભોજન સુદ્ધા આરોગી ગયા...

મધુબાલા બોલીવુડની દુનિયાનો હસીન ચહેરો હતા. પડદા પર તેમની સુંદરતા દરેકને આકર્ષતી હતી. બીજી બાજુ અંગત જીવનમાં તેઓ સાથી કલાકાર દિલીપકુમારને ખુબ જ પ્રેમ કરતા હતા. બંનેના પ્રેમની ચારેબાજુ ચર્ચાઓ પણ થતી હતી. એવું કહેવાય છે કે બંનેની એક જીદના કારણે પ્રેમ પૂરો થઈ શક્યો નહી. કારણ ગમે તે હોય પરંતુ જ્યારે આખરી દિવસોમાં દિલીપકુમારની મધુબાલા સાથે મુલાકાત થઈ હતી ત્યારે તેમના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ હતી. 

ગત 14 ફેબ્રુઆરીએ મધુબાલાનો જન્મદિવસ હતો. વેલેન્ટાઈન ડેના દિવસે જન્મેલા મધુબાલાના જીવનમાં પ્રેમની હંમેશા કમી રહી. જે ઈચ્છ્યુ તે મળી શક્યું નહીં અને જેમની સાથે લગ્ન કર્યા (કિશોરકુમાર) તેઓ દૂર થઈ ગયા. 1969માં ફક્ત 36 વર્ષની ઉમરમાં 23 ફેબ્રુઆરી 1969ના રોજ બીમારીના કારણે મધુબાલાનું નિધન થયું હતું. 

મધુબાલાના લાખો ચાહકો હતા પરંતુ કમનસીબ એ હતું કે તેમણે જેમને પણ પ્રેમ કર્યો તેમનો સાથ મળ્યો નહીં. તેમના પિતા તેમના લગ્ન દિલીપકુમાર સાથે કરવા માટે રાજી નહતા. પરંતુ પરણિત કમાલ અમરોહી સાથે નિકાહ કરાવવા તૈયાર હતા. અનેકવાર દિલ તૂટ્યા બાદ મધુબાલાએ કિશોરકુમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લે જ્યારે તેઓ બીમાર પડ્યા ત્યારે તેમણે પણ અંતર જાળવી લીધુ હતું. આજે મધુબાલાની 54મી પુણ્યતિથિ પર તેમની ચાર અધૂરી પ્રેમ કહાની વિશે જાણો....

અધૂરો રહ્યો પહેલો પ્રેમ
નાની ઉંમરમાં જ મધુબાલાને પહેલો પ્રેમ થઈ ગયો હતો. જ્યારે તેઓ દિલ્હીમાં રહેતા હતા ત્યારે ત્યાં રહેતા લતીફને તેઓ પસંદ કરવા લાગ્યા હતા. જેઓ આગળ જઈને IAS અધિકારી બન્યા. જ્યારે લતીફને ખબર પડી કે મધુબાલાએ મુંબઈ શિફ્ટ થવાનું છે તો તેઓ દુખી થઈ ગયા. તેઓ નહતા ઈચ્છતા કે મધુબાલા દૂર જાય. મધુબાલા પણ નહતા ઈચ્છતા. જ્યારે મુંબઈ જતા પહેલા તેમની છેલ્લી મુલાકાત થઈ તો મધુબાલાએ તેમને એક ગુલાબનું ફૂલ આપ્યું જેને તેમણે આખી જિંદગી સાચવીને રાખ્યું હતું. બીજી બાજુ મધુબાલા મુંબઈમાં બીઝી થઈ ગયા પરંતુ લતીફ તેમને ક્યારેય ભૂલી શક્યા નહીં. એવું કહેવાય છે કે મધુબાલાના નિધન બાદ લતીફ તેમની પુણ્યતિથિ પર કબરે જતા અને તેના પર ગુલાબનું એક ફૂલ રાખીને આવતા. 

પરણિત કમાલ અમરોહી સાથે સંબંધ
1949માં બોમ્બે ટોકિઝના બેનર હેઠળ મહેલ ફિલ્મ બની. આ ફિલ્મના દિગ્દર્શક કમાલ અમરોહી હતા. ફિલ્મ માટે પહેલા સુરૈયાને લેવાના હતા પરંતુ સ્ક્રિન ટેસ્ટ બાદ લીડ રોલમાં મધુબાલાની પસંદગી થઈ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ રહી. ફિલ્મના શુટિંગ દરમિયાન મધુબાલા અને કમાલ અમરહી એકબીજાની નજીક આવી ગયા હતા. મધુબાલાના પિતા બંનેના સંબંધથી ખુશ હતા. તેમણે કહ્યું કે આગળ જઈને બંને લગ્ન કરે તો મને કોઈ વાંધો નથી. પરંતુ કમાલ અમરોહી પહેલેથી પરણિત હતા. તેઓ તેમની પત્નીને છોડવા માંગતા નહતા. તેઓ ઈચ્છતા હતા કે મધુબાલા બીજી પત્ની બનીને રહે. પરંતુ મધુબાલાને આ શરત મંજૂર નહતી. તેમનું કહેવું હતું કે તેઓ પતિને કોઈ અન્ય સાથે વહેંચી શકે નહીં. તેમણે કમાલ અમરોહીને તલાક લેવા કહ્યું પરંતુ તેમણે ના પાડી દીધી  જેના કારણે તેમનો સંબંધ તૂટી ગયો. 

મધુબાલાની એક કસમ અને પ્રેમનાથે 14 વર્ષ ન પીધો દારૂ
1951માં રિલીઝ થયેલી ફિલ્મ બાદલમાં મધુબાલા સાથે પ્રેમનાથ જોવા મળ્યા હતા. શુટિંગ દરમિયાન એક દિવસ મધુબાલા પ્રેમનાથના મેકઅપ રૂમમાં ગયા અને તેમણે લવલેટર અને ગુલાબ આપ્યું. ત્યારે પ્રેમનાથ સમજી શક્યા નહીં કે આ શું થઈ રહ્યું છે. જ્યારે તેમણે લવલેટર વાંચ્યો તો લખ્યું હતું કે જો તમે મને પ્રેમ કરતા હોવ તો પ્લીઝ આ ગુલાબ સ્વીકારો. નહીં તો આ પત્ર અને ફૂલ પાછું આપી દો. આ પત્ર વાંચીને પ્રેમનાથના હોશ ઉડી ગયા. તેમને વિશ્વાસ નહતો આવતો કે દુનિયાની સૌથી સુંદર છોકરીએ તેમને પ્રપોઝ કર્યું. તેમણે ખુશ થઈને પ્રપોઝલ સ્વીકારી લીધી હતી. 

fallbacks

બંને એટલા પ્રેમમાં ડૂબી ગયા કે કોઈ ફિલ્મની ઓફર આવતી તો પ્રેમનાથ મધુબાલાને પૂછીને સાઈન કરતા હતા. આ જ કારણે મધુબાલાએ પ્રેમનાથ સામે ધર્મ બદલીને લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો પરંતુ પ્રેમનાથે ના પાડી દીધી. ધર્મના કારણે જ પ્રેમનાથ તેમની સાથે લગ્ન કરી શક્યા નહીં અને તે સમયની ટોપ અભિનેત્રી બીના રાયને પરણી ગયા. આ ખબરથી મધુબાલાને ખુબ આઘાત લાગ્યો. તેમણે પ્રેમનાથને કહી દીધુ કે તમે મારો પ્રેમ ઠુકરાવ્યો છે,  તમે પણ પ્રેમ માટે તરસી જશો. આખરે થયું પણ એવું. પ્રેમનાથ અને બીના રાયનું લગ્નજીવન બહું સારું રહ્યું નહી. તેમણે પછી દારૂ પીવાનું શરૂ કરી દીધુ. જ્યારે મધુબાલાને ખબર પડી તો તેમણે કસમ આપી અને કહ્યું કે દારૂ પીવાથી સારું કે તેઓ તેમનું લોહી પી જાય. મધુબાલાની આ વાત પ્રેમનાથને સ્પર્શી ગઈ અને તેમણે લગભગ 14 વર્ષ દારૂને હાથ પણ ન લગાવ્યો. 

દિલીપકુમાર સાથે પ્રેમ સંબંધ
દિલીપકુમાર અને મધુબાલાની મુલાકાત ફિલ્મ તરાનાના સેટ પર થઈ હતી. બંને પહેલા મિત્રો હતા. પરંતુ ધીરે ધીરે મધુબાલા તેમને પસંદ કરવા લાગ્યા. એકવાર તેમણે પોતાના મેકઅપ આર્ટિસ્ટ દ્વારા દિલીપકુમારને પત્ર સાથે એક ગુલાબ મોકલ્યું. પત્રમાંલખ્યું હતું કે જો તમે મને પસંદ કરતા હોવ તો આ પત્ર કબૂલ કરી લેજો. નહીં તો પાછો મોકલી દેજો. દિલીપકુમારે પત્ર કબૂલ કરી લીધો હતો અને પછી બંને પ્રેમમાં ડૂબી ગયા. 1955માં પહેલીવાર ઈન્સાનિયત ફિલ્મના પ્રીમિયર દરમિયાન બંને એક સાથે જાહેરમાં જોવા મળ્યા. જો કે આ છેલ્લીવાર પણ હતું જ્યારે બંને  એકસાથે જાહેરમાં દેખાયા. તેમનો સંબંધ 9 વર્ષમાં તૂટી ગયો. કારણ એ હતું કે મધુબાલાના પિતા ઈચ્છતા હતા કે દિલીપકુમાર મધુબાલાના કહ્યા મુજબ કામ કરે. તેઓ તેમના દરેક કામમાં હસ્તક્ષેપ કરતા હતા. જેનો ઉલ્લેખ દિલીપકુમારે પોતાની ઓટોબાયોગ્રાફી દિલીપકુમાર-ધ સબ્સટેન્સ એન્ડ ધ શેડોમાં પણ કર્યો હતો. 

fallbacks

તેમણે લખ્યું હતું કે જયારે મારી મધુબાલા સાથે તેમના પિતા અતાઉલ્લાહખાન વિશે વાત થઈ તો મે તેમને સ્પષ્ટ કરી દીધુ કે કામ કરવાની મારી એક પોતાની રીત છે, હું મારા હિસાબે પ્રોજેક્ટ પસંદ કરું છું અને તેમાં મારું પોતાનું પ્રોડક્શન હાઉસ હોય તો પણ ઢિલાશ કરી શકતો નથી. દિલીપકુમારની આ વાત મધુબાલાના પિતાને ગમી નહીં, તેમને લાગ્યું કે તેઓ ખુબ ઘમંડી અને અડિયલ છે. મધુબાલા પણ પિતાની કોઈ વાત ટાળતા નહતા. એક દિવસ દિલીપકુમારે તેમને કહ્યું કે ચલો લગ્ન કરી લઈએ તો તેઓ રડવા લાગ્યા. તો દિલીપકુમારે કહ્યું કે જો આજે તું ન આવી તો હું તારી પાસે પાછો નહીં આવું. ક્યારેય નહીં આવું. ત્યારબાદ સાચે જ તેઓ મધુબાલા પાસે પાછા  ફર્યા નહીં. ફિલ્મ મુઘલ એ આઝમમાં અનારકલી અને સલીમની જોડીમાં દિલીપકુમાર અને મધુબાલાને લોકોએ ખુબ પસંદ કર્યા હતા પરંતુ શુટિંગ દરમિયાન બંને એકબીજા સાથે વાત કરતા નહતા. 

કિશોરકુમાર સાથે લગ્ન
1960માં મધુબાલાએ કિશોરકુમાર સાથે લગ્ન કરી લીધા. કિશોરકુમારને તેમની બીમારી વિશે જાણકારી હતી. પરંતુ તેમણે ક્યારેય આ વાત ગંભીરતાથી લીધી નહતી. લગ્ન બાદ તેઓ મધુબાલાને લઈને લંડન ગયા. જ્યાં ખબર પડી કે તેઓ હવે 2 વર્ષ જ જીવી શકશે. જ્યારે કિશોરકુમાર તેમને લઈને પાછા આવ્યા ત્યારે તેમણે મધુબાલાને તેમના પિતા અને બહેનો પાસે મૂકી દીધા. કહ્યું કે હું કામને કારણે વ્યસ્ત રહુ છું તો મધુબાલાની સારી રીતે દેખભાળ કરી શકીશ નહીં. ત્યારબાદ તેઓ મધુબાલાને મળવા માટે આવતા તા પરંતુ ત્રણ ચાર મહિનામાં એકવાર. જ્યારે મધુબાલાને તેમના પતિની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેઓ તેમની પાસે નહતા. 

fallbacks

મધુબાલાને જોઈને ખાઈ લીધુ નોનવેજ
આ બધા ઉપરાંત એવા પણ અનેક કિસ્સા છે જ્યારે લોકો મધુબાલાને જોઈને મોહી જતા હતા. ફિલ્મ સાકીમાં મધુબાલાને નૃત્ય સમ્રાટ પંડિત ગોપીકૃષ્ણએ ડાન્સ શીખવાડ્યો હતો. મધુબાલા પ્રત્યે તેમને પ્રેમ તો નહતો પરંતુ તેઓ તેમની સુંદરતાના દીવાના થઈ ગયા હતા. એકવાર સેટ પર શુટિંગ ખતમ થયા બાદ મધુબાલાએ તેમને નાશ્તો ઓફર કર્યો હતો. તેઓ તેમની આ ઓફરથી એટલા ખુશ થઈ ગયા કે ખાવા માટે રાજી થઈ ગયા. તેમણે એ પણ જાણવાની કોશિશ ન કરી કે નાશ્તામાં શું છે. બંને ટેબલ પર આમને સામને બેસી ગયા. વાતો કરતા કરતા નાશ્તો ક રવા લાગ્યા હતા. આ દરમિયાન ગોપીકૃષ્ણ મધુબાલાને એકીટસે જોતા રહ્યા અને ભોજનની તરફ નજર કર્યા વગર ખાતા જ રહ્યા. આ નાશ્તો નોન વેજિટેરિયન હતો. પરંતુ ગોપીકૃષ્ણને એ વાતનો અહેસાસ સુદ્ધા ન થયો. જ્યારે ખબર પડી કે તેઓ નાશ્તામાં ચિકન અને મટન ખાઈ ચૂક્યા છે તેઓ ખુબ જ પરેશાન થઈ ગયા હતા. મધુબાલાને પણ આ વાતનો મલાલ રહ્યો કારણ કે પંડિત ગોપીકૃષ્ણ વેજિટેરિયન હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More