ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકાર તરફથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) અંતર્ગત જે 1 લાખ રૂપિયા સુધીની લોન 2 ટકાના વ્યાજદરે આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આજથી રાજ્યની બેંકો ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજથી રાજ્યભરની કો-ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, સિટી કો-ઓપરેટિવ બેંક મળીને કુલ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે લોન લેવા માટે બેંકો બહાર મોટી સંખ્યામાં લાઈન જોવા મળી. તો કેટલાક શહેરોમાં ફોર્મ આવ્યા નથીની ફરિયાદો પણ ઉઠી છે.
અમદાવાથી રિપોર્ટ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ abc બેંકની બ્રાન્ચમાં લોકો સવારથી જ લાઈનમાં ઉભા છે. પરંતુ તેમના હાથમાં હજુ સુધી ફોર્મ આવ્યા નથી. બેંક તરફથી તેમને જવાબ આપવામાં આવ્યો કે, 12 વાગ્યા પછી ગાડી ફોર્મ લઈને આવશે. ત્યાર બાદ ફોર્મનું વિતરણ કરવામાં આવશે. જોકે લોકોએ ઝી મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, સરકારે આત્મનિર્ભર સહાય લોનની જાહેરાત કરી છે તે આશીર્વાદ રૂપ છે અને લોકડાઉન દરમિયાન જે વ્યવસાય ધધામાં નુકસાન થયું છે તેને માટે મદદરૂપ છે.
તો આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત ફોર્મ વિતરણ શરૂ થયું છે, ત્યારે કાલુપુર બેંકની ઘાટલોડિયા બ્રાન્ચ પર લોકોની ભીડ જામી છે. ફોર્મ ન મળતા લોકોમાં નારાજગી પણ જોવા મળી. ઘાટલોડિયા બ્રાન્ચ પરથી 1 જૂનથી ફોર્મ અપાશે. તેમજ વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવા પણ નોટિસ લગાવાઈ છે. બેંક દ્વારા જણાવવામાં આવ્યું કે, કાલુપુર બેંકની તમામ શાખામાંથી ફોર્મ વિતરણ થવાનું નથી. કેટલીક જ શાખાઓને જ ફોર્મ વિતરણની પરવાનગી આપવામાં આવી છે. ફોર્મ ન મળતા લોકોનો સરકાર અને બેંક સામે અસંતોષ જોવા મળ્યો છે. તો, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનું ફોર્મ માટે અમદાવાદની GCS બેંક ખાતે પણ લાંબી લાઈન લાગી હતી.
લોન માટે ફોર્મ લેવા ગાંધીનગરની બેંકોમાં પણ લાંબી લાઈન જોવા મળી. ગાંધીનગરની સ્ટેટ કો-ઓપરેટિવ બેંક બહાર ફોર્મ લેવા માટે લાંબી લાઈનો લાગી હતી. લાઈનમાં ઊભા રહેલા લોકોમાં નાના ધંધાદારી અને રીક્ષાચાલકોની સંખ્યા વધુ છે. લોન લેનાર ઇચ્છુક દરેકના મનમાં બે મહિનાથી લોકડાઉનને કારણે બગડેલી આર્થિક સ્થિતિને સરભર કરવા લોન જરૂરી છે તેવુ જણાવ્યું.
ગાંધીનગરમાં બેંકોની પરિસ્થિતિ
રાજ્ય સરકારની આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મ ગાંધીનગર નાગરિક બેંકમાં જ વિતરણ કરવામાં આવ્યા છે. આ વિશે બેંકના મેનેજિંગ ડિરેક્ટર વિપુલ પટેલે જણાવ્યું કે, બેંકના બેથી ત્રણ ડિરેકટરો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં હોવાથી તેઓને બોલાવી શકાય તેમ નથી. બોર્ડ મીટિંગના કારણે ફોર્મ વિતરણ શરૂ નથી થયું. આગામી દિવસોમાં ગાંધીનગર નાગરિક બેંકની બોર્ડ મીટિંગ બોલાવ્યા બાદ જ ફોર્મનું વિતરણ કરાશે.
રાજકોટમાં લોકોએ જિંદગી દાવ પર મૂકી
તો રાજકોટમમાં 1 લાખ રૂપિયાની લોન લેવા લોકોએ જિંદગી દાવ પર મૂકી તેવા દ્ર્શ્યો જોવા મળ્યા. સહકારી બેંકો પર લોન માટે ફોર્મ મેળવવા લોકોએ બેંક બહાર લાંબી લાઇનો લગાવી છે. પરંતુ ફોર્મ લેવા પહોંચેલ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભૂલી ગયા હતા. પારેવડી ચોક સ્થિત નાગરિક બેંક બહાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી.
સુરતમાં પણ ભીડ જામી
સુરત શહેરમાં પણ 1 લાખ રૂપિયાની લોન મેળવવા સવારથી જ બેંકો બહાર લોકોની લાંબી કતાર લાગેલી જોવા મળી હતી. આમ, લોન લેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા. વહેલી સવારથી લોકો બેંકની બહાર ઉભા રહેલા જોવા મળ્યા.
કચ્છમાં શુ છે પરિસ્થિતિ
કચ્છમાં હજુ સુધી ભૂજની બેંક પાસે ફોર્મ પણ આવેલા નથી. બેંકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, સહકારી બેંકની કારોબારીમાં ઠરાવ કરાશે, તેના બાદ કાર્યવાહી થશે. 2-3 દિવસ બાદ કામગીરી શરૂ થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે