Home> Agriculture
Advertisement
Prev
Next

નકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયા

Navsari News : નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં બેલાબેન પટેલે કરી બાગાયતી ખેતી.....કેરીના ગોટલાથી આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો...દેશ વિદેશમાં વેચાણ કરી સફળતાથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે

નકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયા
Updated: Jun 24, 2024, 11:09 AM IST

Business Idea ધવલ પારેખ/નવસારી : ફેંકી દેવાની વસ્તુ ક્યારેક એટલી કિંમતી સાબિત થાય છે કે જેના થકી આર્થિક ઉપાર્જન પણ સરળ બને છે. નવસારીના અબ્રામા ગામના મહિલા ખેડૂતે પણ ફળોના રાજા કેરીને ખાધા બાદ ફેંકી દેવાતા તેના ગોટલાનો સદુપયોગ કરી, તેના વિટામિન B12 સહિતના આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો અને દેશ વિદેશમાં વેચાણ કરી સફળતાથી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે.

નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે રહેતા બેલાબેન પટેલ બાગાયતી ખેતી કરે છે. જેથી કેરીની મોસમમાં તેઓ કેરીના વેચાણ સાથે જ તેની બાય પ્રોડક્ટ થકી પણ આવક મેળવી રહ્યા છે. કેરીના વેચાણ સાથે બેલાબેન કેરીના રસના બાટલા ભરે છે અને કેરીમાંથી નીકળતા ગોટલામાંથી મુખવાસ પણ બનાવે છે. સામાન્ય રીતે કેરીના ગોટલાને ફેંકી દેવામાં આવે છે, પરંતુ બેલાબેને ગોટલામાંથી નીકળતી ગોટલીના આયુર્વેદિક ગુણધર્મ જાણ્યા બાદ તેમાંથી મુખવાસ બનાવવાનું શરૂ કર્યું હતું. 

કેરીની ગોટલીની વાત કરીએ તો, તેમાં ભરપૂર માત્રામાં વિટામીન B12 હોય છે. સામાન્ય રીતે 30 થી 40 વર્ષ પછીના વ્યક્તિઓને વિટામીન B12 ની ઉણપ રહે છે. ત્યારે કેરીની ગોટલીનો મુખવાસ B12 ની ઉણપ દૂર કરવા માટેનો અક્સિર ઉપાય સાબિત થાય છે. જેથી બેલાબેન પટેલ ફેંકી દેવાતા કેરીના ગોટલાને પ્રથમ સુકવે છે, બાદમાં તેમાંથી ગોટલી કાઢી તેને પણ સુકવીને છીણી કાઢે છે. કેરીની ગોટલીની છીણને ગરમ ઘીમાં સોંતરવામાં આવે છે, ત્યારબાદ તેની સાથે વરિયાળી, અજમો જેવી અન્ય વસ્તુઓને ભેળવી મુખવાસ બનાવે છે. જેને પ્રતિ કિલો 550 રૂપિયામાં વેચે છે.

fallbacks

બેલાબેન દ્વારા બનેલો આ મુખવાસ નવસારી સહિત આસપાસના શહેરો ગામડાઓમાં તો જાણીતો છે જ, પરંતુ રાજ્ય, દેશ અને વિદેશોમાં પણ તેની માંગ રહે છે. બેલાબેનના આ મુખવાસ માટે પહેલેથી જ ઓર્ડર બુક હોય છે. જેથી તેમણે વેચાણ માટે ચિંતા કરવાની જરૂર પણ પડતી નથી. બેલાબેન મુખવાસ થકી કેરીની સીઝનમાં 25,000 થી વધુની આવક મેળવી લે છે. જેથી બેલાબેન નકામા કેરીના ગોટલામાંથી આર્થિક ઉપાર્જન મેળવી પરિવારને મદદરૂપ થઈ રહ્યા છે. 

fallbacks

ખેતીમાં પાકતી દરેક વસ્તુના આયુર્વેદિક ગુણધર્મો છે. બાગાયતી પાકમાં કેરી પણ આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વનું ફળ છે. જેમાં પણ કેરીમાંથી ગોટલાની અંદરની નાની ગોટલી અનેક આયુર્વેદિક ગુણ ધરાવે છે. ખાસ કરીને આ ગોટલીમાંથી ભરપૂર માત્રામાં B12 મળે છે. જેની સાથે અન્ય રોગોમાં પણ કારગર સાબિત થાય છે. જેમાં ચામડીના રોગ, પેટના રોગ, આંખના રોગ, દાંતની તકલીફ આ બધામાં કેરીની ગોટલીમાંથી બનતો મુખવાસ કે પાવડર વગેરે અક્સિર સાબિત થાય છે. આયુર્વેદિક હોસ્પિટલના વૈદ પૂર્વી પટેલ પણ કેરીની ગોટલીને B12 માટે મહત્વની ગણાવી રહ્યા છે.

ફળો અને શાકભાજી અનેક આયુર્વેદિક ગુણ ધરાવે છે. જ્યારે એના છોટલા અથવા બીજ આયુર્વેદિક દ્રષ્ટિએ અનેક રીતે લાભકારક છે જ, પણ એનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો આર્થિક લાભ પણ અપાવે છે.

ભાવનગરમાં પડેલી વીજળીએ લોકોને ડરાવ્યા, વીજળી પડતાં પાકા મકાનનું ધાબું ચિરાઈ ગયું!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે